ઉજાસનો પાવન અનુભવ
બાળરોગ નિષ્ણાત ડૉ. આઈ. કે. વીજળીવાળા ઈ.સ. ૨૦૦૩માં એક નાનકડું પુસ્તક ‘મોતીચારો' લઈને આવ્યા ત્યારે તેમને ખબર નહીં હોય કે આ એમનું નવા પ્રકારનું પુસ્તક સામાન્ય રીતે ઓછું વાંચતા ગુજરાતી વાચકોમાં ઝંઝાવાતી ખેંચાણ ઊભું કરશે. નવા પ્રકારનું પુસ્તક એટલા માટે કે ડૉ. વીજળીવાળાએ એમાં આપેલી વાર્તા કે પ્રસંગો પોતે રચ્યાં નથી, પણ ઇન્ટરનેટ ૫૨થી ઉતાર્યાં છે. એમણે મૂળ અંગ્રેજીમાં વાંચી છે, પછી ગુજરાતીમાં આપણને આપી છે. ડૉ. વીજળીવાળાને મેડિકલની માહિતી મેળવવા ઇન્ટરનેટનું સર્ફિંગ કરતાં કેટલાંક ‘અમૃતબિંદુ દેખાયાં, જેનો એમણે પોતે તો આકંઠ આસ્વાદ માણ્યો પણ એ અદ્ભુત વાતો, પ્રસંગો, ઘટનાઓ સૌની સાથે વહેંચવાના હેતુથી ગુજરાતીમાં રૂપાંતિરત કરી પુસ્તકરૂપે આપી અને આ બે-ત્રણ વરસમાં તો આ પુસ્તકની પચાસ હજારથી વધારે નકલો વેચાઈ ગયા પછી પણ નવી આવૃત્તિઓ થતી રહે છે. ત્યાર પછી ડૉ. વીજળીવાળાએ ‘મોતીચારો ભાગ-૨,મનનો માળો' બીજે વર્ષે આપ્યું. અને હમણાં જ એ શ્રેણીનું આ ત્રીજું પુસ્તક “મોતીચારો ભાગ-૩, અંતરનો ઉજાસ'નામે આપ્યું છે.
આ પુસ્તક વિશે વિશાળ વાચકવર્ગને આમંત્રણ આપવાનું મને મન થાય છે. ઇન્ટરનેટનો આવો ઉત્તમ લાભ ડૉ. વીજળીવાળાએ અસંખ્ય ગુજરાતી વાચકોને આપવાનો આ ઉપક્રમ રાખ્યો, તે માટે તેમને શાબાશી આપવી રહી. સમગ્ર પુસ્તકમાં ડૉ. વીજળીવાળાનો મૌલિક લેખક કે ચિંતક બનવાનો જરાય અભિપ્રાય નથી, પણ એમની પ્રસંગ કે ઘટનાની પસંદગી અને એની માંડણી કલાત્મક છે. એટલું જ નહીં પણ તેઓ ઓછામાં ઓછા શબ્દોમાં પ્રભાવક રીતે વાત મૂકી શકે છે. એક પણ શબ્દ મિથ્યા ભાવબોધ જગાવવા એ વાપરતા નથી. તેમ છતાં એમની સ્વચ્છ શૈલીથી વાચકોને ભાવવિભોર કરી શકે છે, એમની પાંપણોને ભીની કરી શકે છે, એમને સ્વચ્છ જળમાં સ્નાન કરવાની સ્ફૂર્તિનો પાવન અનુભવ કરાવે છે.
આ પુસ્તકમાં આવતી ટેબલક્લોથ’ અને ‘સૌથી અમીર માણસ' એ બે વાર્તાઓ તો કદાચ અનુક્રમે ઓ. હેનરી કે ટૉલ્સ્ટૉય જેવા મહાન કથાકારોની રચનાકાળની અને જીવનદૃષ્ટિની માવજત પામેલી ન હોય ! આ વાર્તાઓમાં અંતે ચમત્કૃતિ કરતાં ઘણું વિશેષ છે. પત્નીએ ગૂંથેલું ટેબલક્લોથ વિશ્વયુદ્ધ દરમિયાન છૂટાં પડી ગયેલ દંપતીને વર્ષો પછી કેવી રીતે મેળવી આપે છે તે શ્વાસરોધક રીતે કહેવાયું છે.
ઇન્ટરનેટ પરથી વાર્તાઓ પ્રસંગો ઉતારી એને ગુજરાતી અવતાર આપનાર ડૉ. વીજળીવાળા અત્યંત શ્રદ્ધાવાન વ્યક્તિ છે, જેમને ભગવાનમાં ઊંડી શ્રદ્ધા છે. એમના આ પુસ્તકમાં પ્રસંગો-વાર્તાઓ શાળાના શિક્ષકો પોતાના છાત્રોને કરે, મા-બાપ પોતાનાં સંતાનોને કરે, એવી ઢબે લખાયા છે.
મને પૂરી શ્રદ્ધા છે કે ગુજરાતી વાચકોને આ કથાઓ જરૂર ગમશે.
--ભોળાભાઈ પટેલ
ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ
ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત
Inquiry For : ANTAR NO UJAS : MOTICHARO PART: 3